SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન માટેની ભૂમિકા, સામગ્રી, તેનું પૃથક્કરણ, પાઠસમીક્ષાના સિદ્ધાંતો, મહાભારત કાર્યમાં રહેલી વ્યવહારુ મર્યાદાઓ વગેરેની ચર્ચા કરી છે. આમ ભારતીય વિદ્વાનો દ્વારા પાઠસમીક્ષાના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવાનું પહેલવહેલું કાર્ય ઈ. સ. ૧૯૩૩માં સંપન્ન થયું એમ કહી શકાય. પણ તે પૂર્વે લગભગ એક સદી પહેલાં આવો જ એક સંનિષ્ઠ પ્રયાસ ડૉ. મેક્સમ્યૂલર દ્વારા ઈ. સ. ૧૮૪૯માં થયો છે. ડૉ. મેક્સમ્યૂલરે જગતમાં સૌ પ્રથમ ઋગ્વેદ ઉપરના સાયણભાષ્યની હસ્તપ્રતોને એકત્ર કરી અને તેનું સમીક્ષિત પાઠસંપાદન કરતી વખતે પાઠસમીક્ષાના કેટલાક સિદ્ધાંતો તારવ્યા છે. આજે જ્યારે ગુજરાતના કદાચ પ્રથમ પાઠસંપાદક કહી શકાય એવા મુનિ શ્રી પુણ્યવિજયજી મ. સા.ની જન્મશતાબ્દી નિમિત્તે હસ્તપ્રતવિદ્યા વિશે પરિસંવાદ યોજાઈ રહ્યો છે, ત્યારે ભારતીય સંસ્કૃત સાહિત્યના પ્રથમ પાઠસંપાદક કહેવા પડે એવા મેક્સમ્યૂલરના એક પ્રયાસની સમીક્ષા કરવી અસ્થાને નહીં ગણાય. મેક્સમૂલરનો આ પ્રયાસ એટલા માટે નોંધપાત્ર છે કે પૂર્વોક્ત મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવી જોઈએ એવો પ્રસ્તાવ પ્રોફે. એમ. વિન્ટરનિટ્સે ૧૮૯૭માં કર્યો, તેની પણ પૂર્વે ૪૮ વર્ષો પહેલાં મેક્સમ્યૂલરે આ દિશાના ઉષ:કાળ સમો સાયણભાષ્યના પાઠસંપાદનનો પ્રયાસ કર્યો છે. પ્રસ્તુત લેખમાં પ્રોફે. મેક્સમ્યૂલરના વિચારો સમીક્ષણીય છે. આ વિચારોમાં ઉત્તરવર્તી કાળની જે સૈદ્ધાંતિક ઈમારત ચણાઈ છે, તેનો પાયો જોવા મળે છે. ૨. સાયણભાષ્યની હસ્તલિખિતપ્રતો પ્રોફે. મેક્સમ્યૂલરે ઋગ્વેદસાયણભાષ્યની બારેક જેટલી હસ્તલિખિત પ્રતો ભારતના વિવિધ પ્રાંતોમાંથી એકત્ર કરી હતી અને તેમાં વાંચવા મળતા પાઠને પહેલાં તો સંતુલન પત્રિકા ઉપર ઉતાર્યા હતા. પછી વંશાનુક્રમ પદ્ધતિએ જતાં તેમને સાયણભાષ્યનો પાઠ ત્રણ સ્વતંત્ર પ્રવાહોમાં પ્રવાહમાન થયેલો જોવા મળ્યો હતો. તેમણે વધુમાં કહ્યું છે કે ભારતીય પરંપરાની માન્યતાને સ્વીકારીએ તો પણ વિદ્યાનગરની આસપાસ દાટી દેવામાં આવેલી સાયણના લખાણોની હસ્તપ્રતો મળવી આજે સંભવિત નથી. આથી, ઉપર્યુક્ત હસ્તપ્રતોને બાદ કરતાં બીજી કોઈ હસ્તપ્રત કોઈપણ ભંડારમાં સચવાઈ હોય અને જે વધુ ઉપયોગી પણ પુરવાર થાય તેમ હોય, તેવી કોઈ હસ્તપ્રત આજે કયાંયથી મળે તેમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005251
Book TitleHastprat Vidya ane Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2001
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy