SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા અનુભવાત્મક જ્ઞાન આપણી ઇચ્છા ઉપર નિર્ભર નથી – આંખ ખુલી એટલે એની આગળ જે કંઈ હશે તે પ્રત્યક્ષ થવાનું જ, તમારી ઇચ્છા હોય કે ન હોય. આ બે પ્રકારના જ્ઞાનમાં આવું અંતર કેમ ? આનો ઉત્તર વિજ્ઞાનવાદી એ આપે છે કે આપણા સ્મરણાત્મક જ્ઞાન આ જન્મમાં થયેલા આપણા પ્રત્યક્ષાત્મક અનુભવોની વાસના ઉપર નિર્ભર છે જ્યારે પ્રત્યક્ષાત્મક જ્ઞાન આપણી અનાદિ વાસના ઉપર નિર્ભર છે. અનાદિ વાસના અનાદિ છે એટલે એના કારણ તરીકે ક્યારેય બાહ્ય વસ્તુ નથી જ. ૪૨ આમ અનાદિ વાસના જ જ્ઞાનગત આકારોનું કારણ છે. વાસનાના લીધે જ વિજ્ઞાન ગ્રાહકાકાર અને ગ્રાહ્યાકાર બે આકારોવાળું ભાસે છે. અનાદિવાસના યા અવિદ્યાનો યોગાચાર દ્વારા નાશ થતાં ગ્રાહ્યગ્રાહકાકારવિનિર્યુક્ત વિશુદ્ધવિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે જ પરમતત્ત્વ છે. વિજ્ઞાનવાદી બૌદ્ધો બધી જ ક્ષણિક વસ્તુઓને સત્ નહિ માનતાં માત્ર ક્ષણિક વિશુદ્ધ વિજ્ઞાનને જ સત્ માને છે, માત્ર વિજ્ઞાન યા ચેતનને જ સત્ માનવાની આ વાત તેમને શાંકર વેદાન્તીઓની સમાન ભૂમિકાએ મૂકે છે પરંતુ તે બન્ને વચ્ચે ભેદ એ છે કે વિજ્ઞાનવાદીઓનું વિજ્ઞાન ક્ષણિક છે, ઉપરાંત તેઓ વિજ્ઞાનના નાના સન્તાનો (continuums) માને છે; જ્યારે શાંકર વેદાન્તીઓ વિજ્ઞાનને – બ્રહ્મને ફૂટસ્થનિત્ય અને એક માને છે. વિજ્ઞાનવાદીઓ સત્ની ત્રણ કોટિઓ સ્વીકારે છે – પરમાર્થસત્, સંવૃતિસત્ અને પરિકલ્પિતસત્. આપણે કહી શકીએ કે તેમને મતે ક્ષણિક વિજ્ઞાન જ પરમાર્થસત્ છે, બાહ્ય ક્ષણિક વસ્તુઓ સંવૃતિસત્ છે. અને નિત્ય દ્રવ્ય વગેરે પરિકલ્પિતસત્ છે. (૭) શૂન્યવાદ (બૌદ્ધ માધ્યમિકદર્શન) શૂન્યવાદીઓ અનુસાર ક્ષણિક ‘ધર્મ' (વસ્તુ) સત્ નથી, અર્થાત્ ક્ષણિક બાહ્ય વિષયો કે ક્ષણિક વિજ્ઞાન પણ સત્ નથી. તેઓ ધર્મનૈરાત્મ્ય યા ધર્મશૂન્યતાની સ્થાપના કરે છે. થેરવાદ, વૈભાષિક, સૌત્રાન્તિક અને વિજ્ઞાનવાદ અનુસાર પ્રતીત્યસંમુત્પાદનો અર્થ હતો કારણ હોતાં કાર્યનું ઉત્પન્ન થવું. પરંતુ શૂન્યવાદે પ્રતીત્યસમુત્પાદને એક ડગલું આગળ વધાર્યો. ‘એના હોતાં (કારણ હોતાં) આ (કાર્ય) ઉત્પન્ન થાય છે’ એનો અર્થ એ કે પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુ પર નિર્ભર છે અર્થાત્ એનો ‘સ્વભાવ’, ‘સ્વરૂપ’ યા ‘સત્ત્વ' બીજી વસ્તુ પર આધાર રાખે છે. આમ વસ્તુને પોતાનો સ્વભાવ યા સત્ત્વ નથી. અર્થાત્ પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુ પર પોતાના અસ્તિત્વ માટે આધાર રાખતી હોવાથી ‘નિઃસ્વભાવ’ યા ‘સ્વરૂપશૂન્ય’ છે. શૂન્યવાદ અનુસાર ‘પ્રતીત્યસમુત્પાદ'નો અર્થ છે વસ્તુઓની પરસ્પર સાપેક્ષતા અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy