SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ (objective) પ્રમાણ અનુસાર તે અપાતા હોય છે ત્યાં વિવાદ જાગવાનો સંભવ એકંદરે ઘણો ઓછો હોય છે. પરંતુ જ્યાં ગુણવત્તાનું માપ આત્મલક્ષી (subjective) ધોરણે થતું હોય છે ત્યાં પ્રામાણિક નિર્ણાયકોના પોતાના રુચિભેદ, દૃષ્ટિભેદ, સારા-નરસા પૂર્વગ્રહો ક્યારેક મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. જ્યાં એની એ જ વ્યક્તિઓ એક પ્રકારની સ્પર્ધા માટે નિર્ણાયક તરીકે દાયકા કે બે-ત્રણ દાયકા સુધી રહ્યા કરે ત્યારે પણ પરિસ્થિતિ વધુ વિષમ બને છે. અલબત્ત લોકશાહીમાં કેટલાક દુરારાધ્ય અસંતુષ્ટોને પદ્ધતિ કે પરિસ્થિતિનો અભ્યાસ કર્યા વિના દરેક વાતે નિષ્કારણ કકળાટ કરવાની ટેવ પડી ગઈ હોય છે એ પણ એટલું જ સાચું છે. જ્યાં સન્માન-પ્રતીકો યોગ્ય ઉમેદવારને જ અપાતાં હોય ત્યાં પણ લાયક ઉમેદવારોની સંખ્યા જો વધુ હોય તો ઇર્ષા, દ્વેષ, લાગવગ, ખટપટ ઇત્યાદિ કામ કરવા લાગે છે. ક્યારેક અમુક ઉમેદવારને એનાથી વંચિત રાખવા માટે ચારિત્ર્યખંડનની પદ્ધતિનો આશ્રય પણ લેવાય છે. કોઈક ક્ષેત્રે કોઈ એક વ્યક્તિની શક્તિ-સિદ્ધિ બીજાંઓ કરતાં એટલી બધી ચડિયાતી હોય કે વર્ષો સુધી એ જ વ્યક્તિ પારિતોષિકો જીતી જાય અને બીજાને એનો લાભ ન મળે. એટલા માટે કેટલીક સંસ્થાઓ એક વ્યક્તિને બે વખત પારિતોષિક ન અપાય એવો નિયમ કરે છે, પરંતુ ત્યાર પછી નિર્ણાયકોનું લક્ષ ગુણવત્તા કરતાં વ્યક્તિ તરફ વધુ જાય છે, અને એ ક્ષેત્રની કઈ મોટી વ્યક્તિ પારિતોષિક વગર રહી ગઈ છે તેની ભાળ કાઢીને કોઈ એકાદ વર્ષ માટે એ વ્યક્તિની પારિતોષિક માટેની પાત્રતા ગોઠવી કઢાય છે. પરિણામે અન્ય ઉમેદવારોમાં અસંતોષ, કચવાટ, ટીકા પ્રવર્તવા લાગે છે. પારિતોષિકોના વિતરણમાં પદ્ધતિનો ક્યારેક દોષ હોય છે, નિર્ણાયકોનો નહિ, પરંતુ નિરાશ ઉમેદવારોને તેમાં નિર્ણાયકોના પક્ષ પાતી વલણનો ભાસ થાય છે. ક્યારેક પારિતોષિકની પ્રાપ્તિ પછી જ તે વ્યક્તિમાં રહેલી શક્તિની આપણને ખબર પડે છે. એનામાં રહેલી ગુણવત્તાને આપણે ઓળખતા થઈએ છીએ. જનસમુદાયમાં એનો પ્રચાર થાય છે. ક્યારેક નવા આદર્શોનું નિર્માણ થાય છે. કેટલાયને એમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અન્ય પક્ષે ક્યારેક લાગવગ કે પક્ષપાતથી પારિતોષિક અપાઈ જાય છે, ત્યારે વ્યક્તિમાં ન હોય એવી શક્તિનો અકારણ આભાસ લોકોને થાય છે અને તેઓ એના પ્રત્યે આંધળા અહોભાવથી જોવા લાગે છે, અને સમાજમાં એક ખોટો દાખલો બેસે છે. ૩૧૨ સાંપ્રત સમાજ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy