SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ કદાચ લોકપ્રિય થાય છે, પરંતુ સમય જતાં તેનું મૂલ્ય ઘટી જાય છે, કારણ કે તેના સર્જનના મૂળમાં આનંદ નહીં પણ દ્વેષ રહેલો હોય છે. જેમ વ્યક્તિગત ધોરણે આમ બને છે તેમ કેટલીક વાર, કેટલાક લેખકોની કૃતિઓમાં, કોઈ એક જ્ઞાતિ, સમાજ કે ધર્મ પ્રત્યેનો દ્વેષ કે પક્ષપાત પ્રગટ થાય છે. ધર્મ અને ધર્મ વચ્ચે, રાષ્ટ્ર અને રાષ્ટ્ર વચ્ચે જ્યારે ઘર્ષણ ઊભું થાય છે ત્યારે પ્રચારાત્મક સાહિત્ય ઢગલાબંધ પ્રગટ થાય છે. યુદ્ધના સમયમાં ક્યારેક એવું સાહિત્ય પૈસા આપીને પણ લખાવાય છે. પૈસાને ખાતર એવા પ્રચારાત્મક સાહિત્યનું સર્જન કરનારા પણ ઘણા સાચા ખોટા સર્જકો નીકળી પડે છે. પરંતુ આવા પ્રકારનું સાહિત્ય કલાની દૃષ્ટિએ ઊતરતું અને સમયની દષ્ટિએ અલ્પજીવી હોય છે. સાહિત્યની ઉત્તમ કૃતિઓનું લક્ષણ એ છે કે તે માનવ માનવ વચ્ચેના ભેદને ગાળી નાખે છે. શાંતિના દિવસોમાં તો એ સહજ છે કે પોતાનાથી વિભિન્ન દેશ અને પ્રજાના સાહિત્યનું રસપાન કોઈ પણ માણસ કરી શકે છે. પણ સંઘર્ષના સમયમાં પણ ઉત્તમ સાહિત્યકૃતિઓ શાંતિના દૂતની જેમ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં, એક પ્રજામાંથી બીજી પ્રજામાં કોઈ પણ રુકાવટ વગર ગતિ કરી શકે છે. ભારતે જ્યારે અંગ્રેજો સામે સ્વતંત્રતા માટે આંદોલન ઉપાડ્યું ત્યારે પણ ભારતીય જનો શેક્સપિયર, મિલ્ટન કે બર્નાર્ડ શો જેવા લેખકોને પ્રેમથી વાંચી શકતા, બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે પણ બ્રિટનના સાહિત્યરસિક પ્રજાજનો જર્મનીના ગટે અને ઈટલીના દાન્ત વગેરેની કૃતિઓ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર વાંચીને આનંદ અનુભવી શકતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે ભારતીય જનો પાકિસ્તાનની ગઝલો માણી શકતા હતા. પાકિસ્તાન અને બંગલા દેશ વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાનીઓ બંગાલી ગીતો, રવીન્દ્રનાથનાં ગીતો સાંભળીને આનંદ અનુભવી શકતા હતા. આવા અનેક પ્રસંગો દર્શાવે છે કે શુદ્ધ નિર્ભેળ સાહિત્યની ગતિને કોઈ સ્થૂળ કે સૂક્ષ્મ સરહદો રોકી શકતી નથી. ઉત્તમ સર્જનકૃતિમાં એવી શક્તિ પડેલી છે કે તે પોતાના ભાવકને શોધીને એના હૃદય સુધી પહોંચી જાય છે. કોઈ એક લેખક, પોતાના સમયમાં પોતાની સાહિત્યકૃતિઓ વડે મહત્તા પ્રાપ્ત કરે છે ત્યારે તેના કેટલાક સમકાલીન લેખકો તેની ઈર્ષ્યા કરવા લાગે છે. જૂથબંધી કે વાડાબંધી રચી તેઓ લેખક તરીકેનું તેનું મૂલ્ય ઓછું આંકવાનો સભાન અને દ્વેષપૂર્વક પ્રયત્ન કરે છે. દુનિયાના ઘણા દેશોમાં ઘણા લેખકોને આ રીતે પોતાના સમકાલીન લેખકોને હાથે સહન કરવું પડ્યું હોય એવા બનાવો બન્યા છે. કેટલીક વખત તો લેખકની પોતાની હયાતી સુધી તેની ઉત્તમ સાહિત્યકૃતિની કદર કરવામાં ન આવી હોય, કદર થવા દેવામાં ન આવી હોય એવું પણ બને છે. પરંતુ સત્ય જજ જ સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy