SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ - - વાર્તામાં લેખકના જીવનદર્શનનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી. લેખકનું પાત્રો પ્રત્યેનું વલણ જ ઘણુંખરું આ કહી દે છે. એ વલણ પણ લેખકે લેખકે ભિન્ન હોવા સંભવ છે. પાત્રો પ્રત્યે ઠંડી બેદરકારી, રોષ, પ્રશંસા કે યોગ્યતાનુસાર સહાનુભૂતિ જેવાં જુદાં જુદાં પ્રકારનાં વલણો હોઈ શકે. ખાસ કરીને છેલ્લું વલણ – યોગ્યતાનુસાર સહાનુભૂતિ - વધારે ફાવટવાળું અને સફલ નીવડી શકે છે. ટૂંકી વાર્તામાં વાસ્તવદર્શી, ભાવનાલક્ષી કે રંગદર્શી કે એવા કોઈ પણ પાત્રોના મુખ્ય બે ભેદ પડે છે ઃ કેટલાંક સ્થિર તો કેટલાંક પરિવર્તનશીલ. એ પાત્રો પણ બે પ્રકારનાં હોય છે : કેટલાંક ‘નમૂના’ (Type) અને કેટલાંક ‘વ્યક્તિ' (Individual). રાષ્ટ્ર, જાતિ, વર્ગ, વ્યવસાય, જાતીય કે વ્યક્તિગત એવી કોઈ પણ વસ્તુ ૫૨ મંડાયેલાં અસાધારણ લક્ષણો એક જ પાત્રમાં એકત્ર થાય ત્યારે એ પાત્ર ‘નમૂનો’ બને છે. રાષ્ટ્ર, વર્ગ, વ્યવસાય, ઇત્યાદિનાં કેટલાંક લક્ષણો સાથે હાર્દિક, માનસિક અને નૈતિક એવા કેટલાક ગુણાવગુણો ભળતાં એ પાત્રો ‘વ્યક્તિ' બને છે. હેતુ કે મૂળ વિચારને વાર્તાનું મૂર્ત સ્વરૂપ આપવા માટે પાત્ર, વસ્તુ અને વાતાવરણની જરૂર પડે છે. જે વાર્તામાં પ્રધાન સ્થાને વસ્તુ કે વાતાવરણને બદલે પાત્રો હોય તે વાર્તા પાત્રપ્રધાન' કહેવાય છે. જગતની કેટલીક મહાન વાર્તાઓ આ પ્રકારની છે. અહીં જ વાર્તાકારની ખરી કસોટી થાય છે. સ્વાભાવિક, સચોટ અને જીવંત પાત્રોનું સર્જન માનસશાસ્ત્રનું ઊંડું જ્ઞાન, ઊંચી કલ્પના, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને તીવ્ર મનોવેધક દૃષ્ટિ માગી લે છે. એટલા માટે જ, શ્રેષ્ઠ પાત્રોના સર્જન દ્વારા લેખક સમાજજીવન ઉપર પરિણામદાયી પ્રભાવ પાડી શકે છે. સંવાદ એ પણ ટૂંકી વાર્તાનું એક અગત્યનું અંગ છે, રોજબરોજના વ્યવહારમાં આપણે જે રીતે બોલીએ છીએ તેની સાચી અને જીવંત અસ૨ વાર્તામાં પણ ઉપજાવી શકે એવા સંવાદો હોવા જોઈએ. પરંતુ તેનો અર્થ એ નથી કે વાર્તામાં એ સંવાદો દરરોજની સામાન્ય, નિરર્થક વાતચીતમાં સરી પડવા જોઈએ. એથી તો સંવાદમાં નરી શુષ્કતા જ આવે. વળી, આપણી રોજિંદી વાતચીતમાં આપણે ઘણી વાર બોલવામાં અધૂરા, કોઈક વાર અસ્પષ્ટ અને સામાન્યતઃ સામી વ્યક્તિની સમજશક્તિ ૫૨ વિશ્વાસ અને આધાર રાખતા હોઈએ છીએ. બોલચાલનાં વાક્યોમાં શબ્દો ઘણી વાર આગળ કે પાછળ આવી જતા હોય છે. ભાષા કે વ્યાકરણની દૃષ્ટિએ પણ એમાં કોઈક વાર અશુદ્ધિ રહેલી હોય છે. વાર્તામાં એવા બિનજરૂરી કે અશુદ્ધ સંવાદને અકારણ સ્થાન ન હોઈ શકે. સંવાદો ફક્ત શક્ય હોવા જોઈએ એટલું જ નહિ, પ્રતીતિકર પણ હોવા જોઈએ. ટૂંકી વાર્તા * ૩૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy