SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સુસંગત થાય છે કે સર્વ વિરોધો શમી જાય છે. અમદાવાદ શહેર પૂર્વ-પશ્ચિમ-ઉત્તર અને દક્ષિણ ચારે દિશામાં આવેલું છે એમ કહેતાં ઉપર ઉપરથી વિરોધ જણાય છે કે એક જ શહેર ચારે દિશામાં કેમ હોઈ શકે ? પરંતુ જયારે સૂક્ષ્મ રીતે સાપેક્ષપણે વિચારવામાં આવે કે રાજકોટજામનગરથી અમદાવાદ પૂર્વમાં છે. નાગપુર-કલકત્તાથી અમદાવાદ પશ્ચિમમાં છે, વડોદરા-સૂરતથી અમદાવાદ ઉત્તરમાં છે અને એ જ અમદાવાદ પાલનપુર-જયપુરથી દક્ષિણમાં છે. આમ વિચારતાં વિરોધ જેવી કંઈ વાત રહેતી જ નથી. એટલે આ નયજ્ઞાન અને પ્રમાણજ્ઞાન એ વિરોધનો વિનાશ કરી સમન્વય કરનારાં છે. માટે એક જ વસ્તુનું સ્વરૂપ જુદી જુદી નયદષ્ટિએ વિચારતાં વિરોધ શાન્ત થઈ જાય છે અને સમન્વયવાદની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના જ સાત ભેદો છે અને તેના સેંકડો પેટાભેદો છે. પરંતુ એક વખત સમન્વય કરતાં જો આવડી જાય તો સર્વ નો સુનય જ ભાસે છે. માટે જ આ ગ્રંથમાં પ્રમાણ અને નયની વિપુલ ચર્ચા આદરેલી છે. જે સમ્યજ્ઞાનનો હેતુ છે. આ પ્રમાણ અને નયોની વ્યવસ્થા પિતા અને પુત્રની જેમ સાપેક્ષ છે. અથવા ગુરુ અને શિષ્યની જેમ સાપેક્ષ છે. એક વિશાળ દષ્ટિરૂપ છે અને બીજુ સાપેક્ષ રૂપે આંશિક દૃષ્ટિ રૂપ છે. પ્રમાણનયતત્ત્વાલોક” આ ગ્રંથ, અને તેની સ્યાદ્વાદરત્નાકર એ સ્વોપજ્ઞ મોટી ટીકા, તથા શ્રી રત્નપ્રભસૂરિજી કૃત “રત્નાકરાવતારિકા” લઘુ ટીકા, આ ત્રણેમાં અનેકવાદોની ગંભીર ચર્ચા છે. બધા જ દર્શનોની યોગ્ય યોગ્ય અવસરે ભિન્ન ભિન્ન વિષય ઉપર તર્કશાસ્ત્રની નિપુણતા પૂર્વક ગંભીર ગવેષણા કરવામાં આવી છે. આ ગ્રંથોની લેખનશૈલી એવી છે કે જો તેનો એકચિત્તે સુદૃઢ રીતે અભ્યાસ કરવામાં આવે તો ન્યાય અને પ્રમાણની ચર્ચાનો વિષયના જૈનદર્શનના કે જૈનેતરદર્શનના કોઈપણ ગ્રંથમાં પ્રવેશ કરવો સુગમ થઈ પડે અને લગભગ ચર્ચાસ્પદ સર્વવિષયોને આવરી લેતા, અંતિમ તાગ આવે ત્યાં સુધીની તર્કશૈલીના જાણે ભંડાર જ હોય એવા આ આકર ગ્રંથો છે. ગુજરાતી અનુવાદ લખવામાં આધાર વિસ્તારપૂર્વકનો આ ગુજરાતી અનુવાદ લખવામાં મૂલગ્રંથ તથા સ્યાદ્વાદ રત્નાકર, અને રત્નાકરાવતારિકા એમ બન્ને ટીકા, તદુપરાંત પૂજ્ય મલયવિજયજી મ. કૃત ગુજરાતી અનુવાદ, પૂ. રાજશેખરવિજયજી કૃત “પંજલી” ટીકા, પૂજ્ય મુનિ જ્ઞાનચંદ્રજી કૃત “ટિપ્પણી” ટીકા, તથા પૂ. હેમચંદ્રાચાર્યજી મ.ની પ્રમાણમીમાંસા, પૂ. મલ્લિષેણસૂરિજીની સ્યાદ્વાદ મંજરી, અને પૂ. હરિભદ્રસૂરિજી મ.નું પદર્શન સમુચ્ચય ઈત્યાદિ ગ્રંથોનો મુખ્યત્વે આધાર લીધો છે. આ બધા ગ્રંથોને સામે રાખીને શક્ય તેટલું વધારે સુગમ વિવેચન કરવા પ્રયાસ કર્યો છે. ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy