SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જ નહિ તે અદ્વૈતમાં તો સમાનતાનો વ્યક્તિભેદ પણ ગળી જાય છે. એટલે તે સિદ્ધાંતમાં કર્મસંસ્કારજન્ય વૈષમ્ય માત્ર નિવારવા યોગ્ય જ નથી મનાતું, પણ તે તદ્દન કાલ્પનિક મનાય છે. પણ આપણે જોઈએ છીએ કે આત્મસમાનતા અને આત્માદ્વૈતના સિદ્ધાંતને કટ્ટરપણે માનનારા સુધ્ધાં જીવનમાં ક્રમવૈષમ્યને જ સાહજિક અને અનિવાર્ય માની વર્તે છે. તેથી જ તો આત્મસમાનતાનો અનન્ય પક્ષપાત ધરાવનાર જૈન કે તેવા બીજા પંથો જાતિગત ઊંચનીચભાવને જાણે શાશ્વત માનીને જ વર્તતા હોય એમ લાગે છે. તેને લીધે સ્પર્શાસ્પર્શનું મરણાન્તક ઝેર સમાજમાં વ્યાપ્યા છતાં તે ભ્રમથી મુક્ત નથી થતા. તેમનો સિદ્ધાંત એક દિશામાં છે અને ધર્મ-જીવનવ્યવહારનું ગાડું બીજી દિશામાં છે. એ જ સ્થિતિ અદ્વૈત સિદ્ધાંતને માનનારની છે. તેઓ દ્વૈતને જરા પણ નમતું આપ્યા સિવાય વાતો અદ્વૈતની કરે છે અને આચરણ તો સંન્યાસી સુધ્ધાં પણ દ્વૈત તેમજ કર્મવૈષમ્ય પ્રમાણે કરે છે. પરિણામે આપણે જોઈએ છીએ કે તત્ત્વજ્ઞાનનો અદ્વૈત સુધી વિકાસ થયા છતાં તેનાથી ભારતીય જીવનને કશો લાભ થયો નથી. ઊલટું તે આચરણની દુનિયામાં ફસાઈ છિન્નભિન્ન થઈ ગયું છે. આ એક જ દાખલો તત્ત્વજ્ઞાન અને ધર્મની દિશા એક હોવાની જરૂરિયાત સિદ્ધ કરવા માટે પૂરતો છે. ૨. સારીનરસી સ્થિતિ, ચડતી પડતી કલા અને સુખદુ:ખની સાર્વત્રિક વિષયમતાનો પૂર્ણપણે ખુલાસો કેવળ ઈશ્વરવાદ કે બ્રહ્મવાદમાંથી મળી શકે તેમ હતું જ નહિ. એટલે સ્વાભાવિક રીતે જ પરાપૂર્વથી ચાલ્યો આવતો વૈયક્તિક કર્મફલનો સિદ્ધાંત, ગમે તે પ્રગતિશીલ વાદ સ્વીકાર્યા છતાં, વધારે ને વધારે દૃઢ થતો જ ગયો. “જે કરે તે જ ભોગવે, “દરેકનું નસીબ જુદું” “વાવે તે લણે' “લણનાર ને ફલ ચાખનાર એક અને વાવનાર બીજો તે અસંભવ' - આવા આવા ખ્યાલો કેવળ વૈયક્તિક કર્મફલના સિદ્ધાંત ઉપર રૂઢ થયા અને સામાન્ય રીતે પ્રજાજીવનના એકેએક પાસામાં એટલાં ઊંડાં મૂળ ઘાલી બેઠા છે કે કોઈ એક વ્યક્તિનું કર્મ માત્ર તેનામાં જ ફલ કે પરિણામ ઉત્પન નથી કરતું પણ તેની અસર તે કર્મ કરનાર વ્યક્તિ ઉપરાંત સામૂહિક જીવનમાં જ્ઞાતઅજ્ઞાત રીતે પ્રસરે છે એમ જો કોઈ કહે તો તે સમજદાર ગણાતા વર્ગને પણ ચોંકાવી મૂકે છે, અને દરેક સંપ્રદાયના વિદ્વાનો કે વિચારકો એની વિરુદ્ધ પોતાના શાસ્ત્રીય પુરાવાઓનો ઢગલો રજૂ કરે છે. આને લીધે કર્મફલનો નિયમ વૈયક્તિક હોવા ઉપરાંત સામૂહિક પણ છે કે નહિ અને ન હોય તો કઈ કઈ જાતની અસંગતિઓ અને અનુપપત્તિઓ ઊભી થાય છે અને હોય તો તે દૃષ્ટિએ જ સમગ્ર માનવજીવનનો વ્યવહાર ગોઠવવો જોઈએ, એ બાબત ઉપર કોઈ ઊંડો વિચાર કરવા થોભતું નથી. સામૂહિક કર્મલના નિયમની દૃષ્ટિ વિનાના કર્મફલના નિયમે માનવજીવનના ઇતિહાસમાં આજ લગી કઈ કઈ મુશ્કેલીઓ ઊભી કરી છે અને તેનું નિવારણ કઈ દૃષ્ટિએ કર્મફલનો નિયમ સ્વીકારી જીવનવ્યવહાર ઘડવામાં છે, એ બાબત ઉપર કોઈ બીજાએ આટલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy