SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાજ્યને છ વર્ષે • ૧૪૯ શાન્તિ દેખાતી હોય ત્યારે પણ લોકો એમ માને કે સ્વરાજ્ય નથી, પણ મેળવવું છે, તો એનો અર્થ એમના મનમાં ઊંડે ઊંડે શો હોવો જોઈએ એ જાણવું ઘટે છે. વિચાર કરીશું તો જણાશે કે “સ્વરાજ્ય નથી' – એનો અર્થ સૌના મનમાં એ ન હતો કે વ્યવસ્થા નથી, એ પણ ન હતો કે સામાન્ય રીતની શાન્તિ નથી, પણ એ હતો કે આખી પ્રજાને પોતાનું યથાર્થ દુઃખ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક નથી. જ્યાં લગી રાજ્યકર્તાઓ સમક્ષ પ્રજાના એકેએક વર્ગનું ચિત્ર નિર્ભયપણે રજૂ કરવાની તક ન હોય ત્યાં લગી તંત્રવ્યવસ્થા અને ખાવાપીવાનું સુખ હોય તોપણ લોકોને ગૂંગળામણ થયા સિવાય ન રહે. મનની વેદના મનમાં જ સમાવવી કે અધૂરી અને વિકૃત રીતે રજૂ કરવી એ જ સ્વરાજ્યનો અભાવ અગર તો પરરાજ્ય. જ્યારે માથા ઉપર એવા ભય ઝઝૂમતા હોય કે ગરીબ અગર તવંગર ખરેખરી વાત તદ્દન છૂટથી અમલદારો સમક્ષ કહી ન શકે અગર ડરતાં ડરતાં અને તે પણ ક્યારેક જ કહેવાની - અને તે પણ પરભાષામાં પર દ્વારા કહેવાની – તક મુશ્કેલીથી મેળવી શકે, ત્યારે સૌને સ્વરાજ્ય નથી એવો ભાસ થયા વિના ન જ રહે. આ સ્વરાજ્યના અભાવની કે પરરાજ્યના પ્રભાવની ઊંડી વેદનાએ જ છેવટે ગાંધીજીની સરદારી નીચે અનેકમુખી વાચા મેળવી ને અનેક રીતે તે સ્વરાજ્યની દિશામાં પ્રયત્ન કરવા લાગી. છેવટે ૧૯૪૭ના ઓગસ્ટ ૧૫મી તારીખે ગાંધીજીના પ્રેમળ જીવન દરમિયાન જ પ્રેમળ માર્ગથી સ્વરાજ્યપ્રાપ્તિનો ઉત્સવ પ્રજાએ ઊજવ્યો. અહીંથી સાવ નવો યુગ શરૂ થાય છે. પહેલાં પરરાજ્ય હતું અને હવે સ્વરાજ્યઃ એ બે સ્થિતિનું અંતર કોઈ એક જ બાબતમાં નથી સમાતું. અનેક બાબતો એવી છે કે જે દ્વારા પરરાજ્ય અને સ્વરાજ્ય વચ્ચેનું અંતર સરળતાથી સમજી શકાય. પણ એ અંતર સમજવાની સહેલામાં સહેલી ચાવી એક જ છે કે પહેલાં લોકો પોતાના દિલનું દરદ પોતાની જબાનમાં સીધેસીધું અમલદારો સમક્ષ જે નિર્ભયતાથી રજૂ કરી ન શક્તા તે રજૂ કરવાનો સમય તેમને લાધ્યો. સ્વરાજ્ય મળ્યા પછી અનેક સ્થાપિત વર્ગોના ચાલુ હિત ઉપર સખત તરાપ પડી; જેમકે રાજાઓ, સામંતો, જમીનદારો વગેરે. વળી અનેક રૂઢિચુસ્ત માનસ ધરાવનાર ધર્મપંથના અગ્રેસરોની સ્વચ્છંદ નીતિરીતિ ઉપર પણ તરાપ પડી. એ જ રીતે પરરાજ્યના અમલ ઉપર નભતા અને પગદંડો જમાવી બેઠેલા એવા અનેક અમલદારોની અમલશાહી ઉપર પણ તરાપ પડી. આ બધું છતાં લોકો તો એમ જ માને છે કે સ્વરાજ્ય આવ્યું છે. એક બાજુથી લોકોની એવી પણ ફરિયાદ છે કે બ્રિટિશ અમલ દરમ્યાન હતી તેવી તંત્રવ્યવસ્થા નથી, શાન્તિ નથી; અને બીજી બાજુથી લોકો સ્વરાજ્ય આવ્યું છે, પરરાજ્ય નથી એમ તો માને જ છે. ત્યારે લોકોના મનમાં સ્વરાજ્યનો અર્થ જે હોવો જોઈએ તે સ્પષ્ટ થાય છે અને તે અર્થ એટલે પોતાનાં દુઃખદરદ સરકાર સમક્ષ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy