SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કરતા. જે માણસ બીજાની કન્યાને પરણી ઘર બાંધે અને પોતાની કન્યાને બીજા સાથે પરણાવવામાં ધર્મનાશ જુએ એ કાં તો ગાંડો હોવો જોઈએ અને ડાહ્યો હોય તો જૈન સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભોગવતો ન જ હોવો જોઈએ. જે માણસ કોલસા, લાકડાં, ચામડાં અને યંત્રો જથાબંધ વાપરે તે માણસ દેખીતી રીતે ધંધાનો ત્યાગ કરતો હશે તો એનો અર્થ એ જ કે તે બીજા પાસે તેવા ધંધાઓ કરાવે છે. કરવામાં જ વધારે દોષ છે અને કરાવવામાં તેમજ સમ્મતિ આપવામાં ઓછો દોષ છે એવું કાંઈ ઐકાંતિક કથન જૈન શાસ્ત્રમાં નથી. ઘણી વાર કરવા કરતાં કરાવવા અને સમ્મતિમાં જ વધારે દોષ હોવાનો સંભવ જૈન શાસ્ત્ર માને છે. જે બૌદ્ધો માંસનો ધંધો કરવામાં પાપ માની તેવો ધંધો જાતે ન કરતાં માંસના માત્ર ખોરાકને નિષ્પાપ માને છે તે બૌદ્ધોને જો જૈન શાસ્ત્ર એમ કહેતું હોય કે તમે ભલે ને ધંધો ન કરો, પણ તમારા દ્વારા વપરાતા માંસને તૈયાર કરનાર લોકોનાં પાપમાં તમે ભાગીદાર છો જતો શું તે જ નિષ્પક્ષ જૈન શાસ્ત્ર, કેવળ કુળધર્મ હોવાને કારણે, જૈનોને એ વાત કહેતાં અચકાશે ? નહિ, કદી જ નહિ. એ તો ખુલ્લેખુલ્લું કહેવાનું કે કાં તો ભોગ્ય ચીજોનો ત્યાગ કરો અને ત્યાગ ન કરો તો જેમ તેને ઉત્પન્ન કરવા અને તેનો વ્યાપાર કરવામાં પાપ લેખો છો તેમ બીજાઓ દ્વારા તૈયાર થયેલી અને બીજાઓ દ્વારા પૂરી પડાતી તે જ ચીજોના ભોગમાં પણ તેટલું જ પાપ લેખો. જૈન શાસ્ત્ર તમને પોતાની મર્યાદા જણાવશે કે – “દોષ કે પાપનો સંબંધ ભોગવૃત્તિ સાથે છે; માત્ર ચીજોના સંબંધ સાથે નથી.” જે જમાનામાં મજૂરી એ જ રોટી છે એવું સૂત્ર જગવ્યાપી થતું હશે તે જમાનામાં સમાજની અનિવાર્ય જરૂરિયાતવાળા અન્ન, વસ્ત્ર, રસ, મકાન આદિને જાતે ઉત્પન્ન કરવામાં અને તેનો જાતે ધંધો કરવામાં દોષ માનનાર કાં તો અવિચારી છે અને કાં તો ધર્મઘેલા છે એમ જ મનાશે. ઉપસંહાર ધારવા કરતાં શાસ્ત્રમર્યાદાનો વિષય વધારે લાંબો થયો છે, પણ મને જ્યારે સ્પષ્ટ દેખાયું કે એને ટૂંકાવવામાં અસ્પષ્ટતા રહેશે એટલે થોડું લંબાણ કરવાની જરૂર પડી છે. આ લેખમાં મેં શાસ્ત્રોના આધારો જાણીને જ નથી ટાંક્યા, કેમકે કોઈ પણ વિષય પરત્વે અનુકૂળ અને પ્રતિકૂળ બંને જાતનાં શાસ્ત્રવાક્યો મેળવી શકાય છે, અગર તો એક જ વાક્યમાંથી બે વિરોધી અર્થો ઘટાવી શકાય છે. મેં સામાન્ય રીતે બુદ્ધિગમ્ય થાય એવું જ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં મને જે કાંઈ અલ્પસ્વલ્પ જૈન શાસ્ત્રનો પરિચય થયો છે અને ચાલુ જમાનાનો અનુભવ મળ્યો છે તે બંનેની એકવાકયતા મનમાં રાખીને જ ઉપરની ચર્ચા કરી છે. છતાં મારા આ વિચાર વિશે વિચારવાની અને તેમાંથી નકામું ફેંકી દેવાની સૌને છૂટ છે. જે મને મારા વિચારોમાં ભૂલ સમજાવશે તે વયમાં અને જાતિમાં ગમે તેવડો અને ગમે તે હોવા છતાં મારા આદરનો પાત્ર અવશ્ય થશે. - પર્યુષણપર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy